ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના
1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો:
પ્રશ્ન 1. યુરોપનાં કયાં ક્યાં રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી?
ઉત્તરઃ યુરોપનાં પોર્ટુગલ, સ્પેઇન, હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી.
પ્રશ્ન 2. યુરોપની પ્રજાને ભારતીય મરી-મસાલાની ખૂબ આવશ્યકતા શાથી હતી?
ઉત્તરઃ યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમને મરી, તજ, સૂંઠ જેવા મરી-મસાલાની ખૂબ આવશ્યકતા હતી.
પ્રશ્ન 3.કયા યુદ્ધના પરિણામસ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસનપદ્ધતિ અમલમાં આવી?
ઉત્તર: ઈ. સ. 1764ના બક્સરના યુદ્ધના પરિણામસ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસનપદ્ધતિ અમલમાં આવી.
પ્રશ્ન 4. કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ?
ઉત્તર: ઈ. સ. 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં રે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ.
2. (અ) ટૂંક નોંધ લખોઃ
પ્રશ્ન 1. પ્લાસીનું યુદ્ધ
ઉત્તર: પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજ-ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું.
સિરાજ-ઉદ્-દૌલાએ 15 જૂન, 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને પરાજિત કર્યા. આ સમાચાર મળતાં મદ્રાસ(ચેન્નઈ)ના અંગ્રેજોએ ક્લાઇવના નેતૃત્વ નીચે લશ્કરને કલકત્તા (કોલકાતા) મોકલ્યું. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા (કોલકાતા) અંગ્રેજોને આપી દીધું. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ-ઉદ્દોલાને હરાવી શકે તેમ નહોતા. તેથી તેમણે સિરાજ-ઉદ્-દૌલાને હરાવવા લાંચ અને લાલચ જેવી કૂટનીતિ – કાવતરાનો આશરો લીધો. ક્લાઇવે બંગાળના મુખ્ય સેનાપતિ મીરજાફરને નવાબ બનાવવાની લાલચ આપીને તેનો ટેકો મેળવ્યો (તેને ફોડી નાખ્યો). તેણે બંગાળના મોટા શાહુકારી જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાના પક્ષમાં લીધા.
માર્ચ, 1757માં અંગ્રેજોએ ફ્રેન્ચ વસાહત પર આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. પરિણામે 23 જૂન, 1757ના રોજ મુર્શિદાબાદ પાસે આવેલા ‘પ્લાસી’ના મેદાનમાં ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સૈન્ય અને સિરાજ-ઉદ્-દૌલાના સૈન્ય વચ્ચે યુદ્ધ થયું. સેનાપતિ મીરજાફરના વિશ્વાસઘાતને કારણે પ્લાસીના યુદ્ધમાં સિરાજ-ઉદ્દોલાની હાર થઈ. સિરાજ-ઉદ્-દૌલાને પકડીને તેની હત્યા કરવામાં આવી.
અંગ્રેજોએ મીરજાફરને બંગાળનો નવાબ બનાવ્યો, તેના બદલામાં મીરજાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી અને જકાત ભર્યા વિના વેપાર કરવાની છૂટ આપી. આમ, પ્લાસીના યુદ્ધ પછી ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો.
પ્રશ્ન 2. બક્સરનું યુદ્ધ
ઉત્તરઃ બક્સરનું યુદ્ધ 22 ઑક્ટોબર, 1764ના રોજ બંગાળના નવાબ મીરકાસીમ, અવધના નવાબ અને મુઘલ શહેનશાહ શાહઆલમ બીજાના સંયુક્ત લશ્કર અને મૅજર મનરોના નેતૃત્વ હેઠળના અંગ્રેજોના લશ્કર વચ્ચે થયું. સંયુક્ત લશ્કરમાં 50,000 સૈનિકો હતા, જ્યારે અંગ્રેજોના લશ્કરમાં માત્ર 7072 સૈનિકો જ હતા. આમ છતાં, સંયુક્ત લશ્કરની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ.
અંગ્રેજોએ બંગાળના નવાબ તરીકે મીરકાસીમને પદભ્રષ્ટ કર્યો. યુદ્ધને અંતે થયેલા કરાર મુજબ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)માં જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી, જ્યારે વહીવટ કરવાની જવાબદારી નવાબને સોંપવામાં આવી. દીવાની સત્તાથી અંગ્રેજો વાસ્તવિક રીતે બંગાળના શાસક અને માલિક બન્યા.
આમ, બક્સરના યુદ્ધથી બંગાળ, બિહાર અને ઓરિસ્સા- રે (ઓડિશા)માં અંગ્રેજોની અને નવાબની બેવડી શાસનપદ્ધતિ અમલમાં આવી. આ વ્યવસ્થા ‘દ્વિમુખી શાસનપદ્ધતિ’ તરીકે ઓળખાઈ.
પ્રશ્ન 3. અંગ્રેજ -મરાઠા યુદ્ધ
ઉત્તરઃ મરાઠા અને અંગ્રેજો વચ્ચે (ઈ. સ. 1775થી ઈ. સ. 1782) થયેલા પ્રથમ યુદ્ધમાં કોઈની હાર-જીત ન થઈ. સાલબાઈની સંધિ મુજબ બંનેએ એકબીજાના પ્રદેશો પરત આપ્યા. દ્વિતીય અંગ્રેજ-મરાઠા યુદ્ધ ઈ. સ. 1803થી ઈ. સ. 1805 દરમિયાન થયું. તેમાં વેલેસ્લીના હાથે મરાઠાઓની હાર થઈ. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાની ઉત્તરે આવેલા આગરા અને દિલ્લીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવ્યા. તૃતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધ ઈ. સ. 1817થી 1819 દરમિયાન થયું. તેમાં મરાઠાઓની હાર થઈ. અંગ્રેજોએ પેશ્વાને પુણેમાંથી દૂર કરી કાનપુર પાસે બિઠુરમાં મોકલી દીધો. પેશ્વાને પેન્શન આપવામાં આવ્યું. આ યુદ્ધના વિજયથી વિંધ્યાચળથી છેક દક્ષિણ ભારત સુધી અંગ્રેજોની સત્તા સ્થપાઈ. આમ, ઈ. સ. 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તા સ્થપાઈ ગઈ.
પ્રશ્ન 4. મૈસૂર વિગ્રહો
ઉત્તર: દક્ષિણ ભારતમાં ઈ. સ. 1761માં વિજયનગર સામ્રાજ્યના અંત પછી હૈદરઅલીના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદરઅલીએ પોતાના લશ્કરના સૈનિકોને યુરોપિયન પદ્ધતિએ તાલીમ આપી શસ્ત્રસજ્જ કર્યું. હૈદરઅલીની ઝડપથી વધતી સત્તા અને શક્તિને કારણે અંગ્રેજો ભયભીત થયા. અંગ્રેજોએ મૈસૂરની સત્તા હસ્તગત કરવા મૈસૂર સાથે ઈ. સ. 1767 – 69, ઈ. સ. 1780 – 84, ઈ. સ. 1790 – 92, અને ઈ. સ. 1799નાં વર્ષો દરમિયાન ચાર વિગ્રહો કર્યા.
આ વિગ્રહો પૈકી પ્રથમ બે વિગ્રહો હૈદરઅલી સાથે અને બીજા વિગ્રહો હૈદરઅલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા.
પ્રથમ વિગ્રહનું કોઈ પરિણામ ન આવ્યું. દ્વિતીય વિગ્રહ દરમિયાન ઈ. સ. 1782માં હૈદરઅલીનું મૃત્યુ થતાં બંને પક્ષો વચ્ચે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનનો કારમો પરાજય થયો. ચતુર્થ વિગ્રહમાં ટીપુ સુલતાન લડતાં લડતાં વીરગતિ પામ્યો. આમ, અંગ્રજોએ મૈસૂરની સત્તાનો અંત આણી બ્રિટિશ સામ્રાજ્યને સુદઢ બનાવ્યું.
ગવર્નર જનરલ લૉર્ડ વેલેસ્લીએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેને સહાયકારી યોજના સ્વીકારવાની ફરજ પાડી.
(બ) નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
પ્રશ્ન 1. યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો.
ઉત્તરઃ પ્રાચીનકાળથી ભારત અને યુરોપના દેશો વચ્ચે મોટા પાયા પર વેપાર-ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપનાં બજારોમાં ભારતથી મરી-મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ગળી, સૂરોખાર, ઇમારતી લાકડાં, અફીણ વગેરેની ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ થતી હતી. પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચેનો વેપાર મધ્ય એશિયાના જમીનમાર્ગે થતો. એ સમયમાં કૉન્સેન્ટિનોપલ શહેર ભારત અને યુરોપ વચ્ચે જમીનમાર્ગે ચાલતા વેપારનું મુખ્ય મથક હતું. ઈ. સ. 1453માં તુર્કોએ યુરોપનું પ્રવેશદ્વાર ગણાતું આ શહેર જીતી લીધું. પરિણામે યુરોપના દેશોનો ભારત સાથેના વેપારનો માર્ગ બંધ થઈ ગયો. યુરોપના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા તેમને ભારતના મરી-મસાલાની અત્યંત આવશ્યક્તા હતી. યુરોપના લોકોને ભારતનાં મરી-મસાલા, તેજાના, સુતરાઉ 5 કાપડ વગેરે વિના ચાલી શકે તેમ નહોતું. તેથી યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી.
પ્રશ્ન 2. બ્રિટિશ પોલીસતંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો.
ઉત્તરઃ લશ્કર જેટલું જ બ્રિટિશ પોલીસતંત્રનું મહત્ત્વ હતું. તેથી ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવૉલિસે ભારતના કંપનીના તાબાના સમગ્ર વિસ્તારના પોલીસતંત્રમાં એકસૂત્રતા લાવવા કેટલાક સુધારા કર્યા. તેણે પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસખાતાની જગ્યાએ આધુનિક પોલીસખાતાની સ્થાપના કરી. તેણે જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક(DSP)ની નિમણૂક કરી. તેણે જુદી જુદી જગ્યાએ પોલીસ સ્ટેશનો શરૂ કર્યા. દરેક પોલીસ સ્ટેશન પર એક ફોજદારની નિમણૂક કરી. દરેક ગામમાં એક ચોકીદાર નીમ્યો.
બ્રિટિશ પોલીસતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજોની જ નિમણૂક કરવામાં આવતી. ભારતીયોની સિપાહી (કૉસ્ટેબલ) કક્ષાએ ભરતી કરવામાં આવતી.
પ્રશ્ન 3. “ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે.” મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવો.
ઉત્તરઃ વિદેશી શાસન અને વિદેશી કાયદો બને ભારતને પરાધીન સ્થિતિમાં રાખનાર મુખ્ય પરિબળો હતાં. બંને પરિબળોએ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા મજબૂત બનાવ્યા હતા. બ્રિટિશ શાસનનાં વિવિધ તંત્રોએ ભારતમાં ગરીબી, બેકારી અને ભૂખમરો સર્યાં હતાં. ગામડાંનું અર્થતંત્ર છિન્નભિન્ન કર્યું હતું. શહેરોમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી. અંગ્રેજોએ ભારતીયો વિરુદ્ધ નિરંકુશ રીતે વિદેશી કાયદાઓનો ઉપયોગ કર્યો હતો. પરિણામે ભારતમાં બ્રિટિશ શાસન પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. ભારતના વિદ્વાન અને બુદ્ધિશાળી લોકોએ વિદેશી શાસન – બ્રિટિશ શાસનનો ઉગ્ર વિરોધ કર્યો. મહાત્મા ગાંધીએ પણ બ્રિટિશ શાસનમાંથી ભારતને સ્વતંત્ર કરવા ચલાવેલી રાષ્ટ્રીય ચળવળ દરમિયાન લખ્યું હતું કે, “ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે.”
પ્રશ્ન 4. દ્વિતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધનાં પરિણામો જણાવો.
ઉત્તરઃ દ્વિતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધ ઈ. સ. 1803થી 1805 વચ્ચે થયું. તેમા ગવર્નર જનરલ વેલેસ્લીના સૈન્યના હાથે મરાઠાઓની હાર થઈ. આ યુદ્ધથી ઓડિશા અને યમુના નદીની ઉત્તરે આવેલા આગરા અને દિલ્લીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવ્યા.
3. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો:
પ્રશ્ન 1. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી?
A. દમણ
B. દીવ
C. ગોવા
D. દાદરા-નગરહવેલી
ઉત્તરઃ C. ગોવા
પ્રશ્ન 2. ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી?
A. અંગ્રેજ
B. ડચ
C. ફ્રેન્ચ
D. ડેનિશ
ઉત્તરઃ B. ડચ
પ્રશ્ન 3. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો?
A. ડેલહાઉસી
B. વેલેસ્લી
C. ક્લાઇવ
D. વૉરન હેસ્ટિંગ્સ
ઉત્તરઃ D. વૉરન હેસ્ટિંગ્સ
No comments:
Post a Comment
Thanks for comment.....!!!